UPની યોગી યોગી સરકારે હિંમતપૂર્વક મુગલસરાય અલાહાબાદ ફૈઝાબાદ સહિતના અન્ય શહેરોના નામ બદલાવી નાંખ્યા. ત્યારે સવાલ એ છે કે શું યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જેવી હિંમત બતાવી ગુજરાત સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરી શકશે.
આ સવાલ એટલે ઉઠી રહ્યો છે કેમ કે ભાજપ સરકાર ગુજરાત સહિત કેન્દ્રમાં એક હથ્થું સત્તા ભોગવી રહી છે. તેમ છતાં અમદાવાદનું કર્ણાવતી નામાભિધાન એ ફક્ત ચૂંટણીનો મુદ્દો બની રહે છે. અને નામબદલવાના મુદ્દે હંમેશા રાજકારણ ખેલાતું રહે છે.
યોગી સરકારે નામ બદલ્યું પછી ગુજરાત સરકારને પણ ત્રણ દાયકા પહેલાંનું વચન એકાએક યાદ આવ્યું છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે સરકાર વિચારી રહી હોવાનું સ્વિકાર્યા બાદ હવે મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખોંખારો ખાધો છે.
નવા વરસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા ગયેલ મુખ્યમંત્રીએ નામ બદલવા અંગે આવશ્યક કાનૂની કાર્યવાહી અંગે વિચારણા થઈ રહી હોવાનું સ્વિકાર્યું હતું. તમામ અડચણો દૂર કર્યા પછી 2019માં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી શકાશે એવો તેમણે સંકેત આપ્યો હતો.
છેલ્લા 2 દાયકાથી ગુજરાત ભાજપનો મજબૂત ગઢ ગણાય છે. પરંતુ 80ના દાયકામાં ગુજરાતમાં ભાજપ માટે પગ પેસારો કરવાની પણ જગ્યા નહોતી ત્યારે સૌપ્રથમ અમદાવાદની પ્રજાએ કોર્પોરેશનનીસત્તા ભાજપને સોંપી હતી.
એ સમયે ભાજપ અને વીએચપી સહિતની સંસ્થાઓએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માગણી કરી હતી. પરંતુ રાજ્ય તેમજ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાથી ભાજપની મનની મનમાં રહી ગઇ. આથી ભાજપે ત્યાર બાદની ચૂંટણીઓમાં એવો વાયદોકર્યો હતો કે જનતા ભાજપને ગુજરાતમાં સત્તા સોંપશે તો ભાજપ અમદાવાદનું નામ કર્ણાવતી કરશે.
વર્તમાન સમયમાં ગુજરાતની મોટા ભાગનીગ્રામપંચાયતોથી લઇને દેશના 22 રાજ્યો સહિત કેન્દ્રમાં ભાજપનો સુરજ મધ્યાહને તપે છે. ત્યારે અમદાવાદનું નામ બદલવાની ભાજપની દાનત સામે સવાલો ઉઠી રહ્યા છે. ભાજપપાસે સંપૂર્ણ બહુમતિ હોવા છતાં શા માટે અમદાવાદનું કર્ણાવતી કરવામાં નથી આવતું.
શું ભાજપે ફક્ત સત્તા મેળવવા જ કર્ણાવતી નામકરણ કરવાનો વાયદો કર્યો હતો. મહત્વનો સવાલ એ છે કે શું અમદાવાદનું નામ કર્ણાવતી કરી નાંખવાથી શહેરની ટ્રાફિક. પ્રદૂષણઅને ગંદકીની સમસ્યાઓ ઘટી જશે. એંશીના દાયકામાં કોંગ્રેસની ચડતી કળા સામે ભાજપને ગુજરાતમાં પગ મૂકવાની ય જગા ન હતી. એ વખતે ભાજપે સૌપ્રથમ વખત હિન્દુત્વનું કાર્ડ ગુજરાતમાં અજમાવ્યું હતું.
એ માટે ભાજપે બે મુદ્દા ઊઠાવ્યા હતાઃ કુખ્યાત ડોન અબ્દુલ લતિફની આડમાં કોંગ્રેસ દ્વારા થતું મુસ્લિમ તુષ્ટિકરણ અને અમદાવાદનું નામકરણ કર્ણાવતી કરવું. આ બે મુદ્દા પર ભાજપના આક્રમક પ્રચારને ભારે સફળતા મળી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા ભાજપના હાથમાં ગઈ. ત્યારથી ગુજરાત એ ભાજપ માટે હિન્દુત્વની લેબોરેટરી ગણાતું રહ્યું છે.