કચ્છ: રાજકોટમાં ભાજપના નેતાને કાયદાનું ભાન કરાવનાર પોલીસ ઈન્સ્પેટર સોનારાની બદલીના આદેશને લઈને ઠેર-ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજકીય નેતાઓના ઈશારે કર્મશીલ પોલીસ કર્મચારીની બદલીને લઈને લોકો સોશિયલ મીડિયામાં ફિટકાર વર્ષાવી રહ્યા છે. રાજકોટમાં આહિર સમાજ દ્વારા પીઆઈ સોનારાની બદલીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે તેના પડઘા કચ્છમાં પણ પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભચાઉ આહીર સમાજ દ્વારા આજરોજ રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવાનું આયોજન કર્યું હતું. જોકે ચાર્જમાં રહેલાં અંજારના પ્રાંત અધિકારી વી.એન. રબારી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત હોવાથી આવેદનપત્ર સ્વીકારવા હાજર રહીં શક્યા નહોતા. જેને લઈને આગોતરો સમય માગીને આવેદન આપવા આવેલા આગેવાનો વધારે રોષે ભરાયા હતા.
આહિર સમાજનો આક્રોશ જોઈને છેવટે પ્રાંત અધિકારી રબારી અને ડીવાયએસપી રાકેશ દેસાઈએ રૂબરૂ આવી આવેદન પત્ર સ્વીકાર્યું હતું. દરમિયાન યુવકોએ હાઈવે પર બેસી જઈને ચક્કાજામ કરી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં રાજકોટમાં એક નેતાને કાયદાનું ભાન કરાવનારા પોલીસ ઈન્સ્પેટર સોનારાની બદલી કરવામાં આવી હતી. જેને લઇને સૌરાષ્ટ્રના રાજકોટ બાદ આજરોજ ભચાઉ ખાતે ચક્કાજામ યોજવામાં આવેલ.
સ્થાનિક આહિર સમાજના યુવકોએ આજરોજ ભચાઉ હાઇ વે પર બેસીને ચક્કાજામ કરતા સતત ધમધમતા રહેતા હાઇ-વે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકોને સમજાવીને મામલે થાળે પાડ્યો હતો.