દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીના બ્યુગલ ફૂંકાવાની તૈયારી છે. ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ ચૂંટણી જંગમાં ઉતરવા માટે પોતાની તલવારની ધાર કાઢી લીધી છે. હવે ઈન્તજાર છે માત્ર શંખનાદનો.
વાત કરીએ દેશની સૌથી મોટી પાર્ટી ભાજપ અને તેના સૌથી મોટા નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. તો પ્રધાનમંત્રી મોદીને તમે કદાચ 2019ની ચૂંટણીમાં ઓડિશામાં જય જગન્નાથનો નાદ કરતા અને પોતાના માટે મત માગતા જોશો. કારણ કે આ મોદી આ વખતની ચૂંટણી એક અલગ જ શહેરમાંથી લડી શકે છે. ત્યારે જોઈએ જય સોમનાથથી શરૂ કરેલી.
હવે આપને કદાજ જય કાશીનાથની જગ્યાએ જય જગન્નાથનો નાદ કરતા અને મા ગંગાની જગ્યાએ કૃષ્ણા નદીના ગુણગાન ગાતા પ્રધાનમંત્રી મોદી જોવા મળશે. કારણ કે 2019ની લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદી ઓડિશાના પુરીથી લડવાની તૈયારીમાં છે.
2014માં મોદીએ વડોદરા અને બનારસ બન્ને જગ્યાએ જીત મેળવી હતી પરંતુ બાદમાં વડોદરા બેઠક તેમણે છોડી દીધી હતી અને બનારસના સાંસદ જ બની રહ્યા. હવે એવી વાત સામે આવી રહી છે કે મોદી બનારસની સાતે સાથે પુરીથી પણ ચૂંટણી જંગમાં ઉતરશે. જો કે આ વાતને હજુ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
કેમ પુરી પર જ પસંદગી ?
દેશમાં લોકસભાની કુલ 545ની બેઠક છે અને તેમાં ગુજરાતની 26 બેઠક પણ છે. તેમ છતાં પ્રધાનમંત્રી મોદી કેમ પુરીથી જ ચૂંટણી જંગમાં ઉતરવા માગે છે ? તો અમે આપને જણાવી દઈએ કે 2019માં લોકસભા ચૂંટણીની સાથે સાથે ઓડિશામાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. તેથી ભાજપને લાગી રહ્યું છે કે જો પ્રધાનમંત્રી મોદી ઓડિશામાંથી ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થાય. ઓડિશામાં નવીન પટનાયકના બીજુ જનતા દળ BJD અને ભાજપ આમને સામને છે.
આપને એ પણ જણાવી દઈએ કે રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં BJDએ સરકારનો સાથ આપ્યો હતો અને BJDના સાંસદોએ NDAના હરિવંશ તરફી મત આપ્યા હતા. જો કે તેના માટે નીતિશ કુમારે નવીન પટનાયકને વાત કરી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી અલગ જ હોય છે. ભાજપ પોતાની તમામ તાકાત ઓડિશામાં વાપરવાની છે કારણ કે ત્રિપુરા બાદ ભાજપને લાગી રહ્યું છે કે ઓડિશામાં પણ તેઓ જીતી શકે છે.
મોદી ઉઘાડી ફેંકશે પટનાયકના 18 વર્ષ જૂના મૂળિયા ?
વાત ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની તો પટનાયક વર્ષ 2000થી રાજ્યના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ઓડિશામાં તેમની એક અલગ જ ઓળખ છે. નવીન પટનાયકની રાજકારણ વારસામાં મળ્યું છે.
તેમના પિતા બીઝુ પટનાયક પણ ઓડિશાના મુખ્યમંત્રી હતા અને રાજ્યમાં તેમણે પોતાની એક મજબૂત પકડ બનાવી છે. વાત પુરીથી જ પ્રધાનમંત્રી મોદીને લડવાની કરીએ તો બનારસ બાદ પુરીથી ચૂંટણી લડવાને કારણે ભાજપનો હિન્દુત્વનો એજન્ડા પણ જળવાઈ રહે.
હવે બનારસમાં હર હર મહાદેવ બાદ પુરીમાં જય જગન્નાથનો વારો છે. બનારસ પણ મંદિરોનું શહેર છે અને પુરી પણ મંદિરોનું શહેર છે. તો પોલિટિકલ પંડિતોના મતે જો મોદી પુરીમાં લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહે તો ઓડિશામાં ભાજપની સરકાર બનતા કોઈ નહીં રોકી શકે ત્યારે જોવું રહ્યું કે જય સોમનાથ જય કાશીનાથ બાદ જય જગન્નાથનો નાદ કેટલો સફળ થાય છે.