બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ધક્કાવાળી મેલડી માતાજીનો ચમત્કાર, હોનારતમાં આખું મોરબી ડૂબ્યું પણ મંદિર અકબંધ
Last Updated: 06:30 AM, 30 June 2024
શ્રદ્ધાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર રહેતી નથી મોરબીના નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર વર્ષોથી લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે માતાજીના મંદિર સાથે મોરબી હોનારત બચાવની લોકવાયકા પણ જોડાયેલી છે. મોરબી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જુદી જુદી જગ્યા પર માતાજીના મંદિરો અને દેવાધિદેવ મહાદેવના મંદિરો આવેલા છે. દરેક મંદિરે શ્રદ્ધાળુ અને ભક્તો દ્વારા જુદા જુદા નામ આપવામાં આવતા હોય છે. મોરબી નજીકના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર આવેલુ છે. મેલડી માતાજીનુ મંદિર ભાવિકો માટે અનેરી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને બીજા જિલ્લાઓમાંથી ઘણા શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા માટે માં મેલડીના મંદિરે આવતા હોય છે.
ADVERTISEMENT
રવિવારે અને મંગળવારે મંદિરે ભક્તોની ભીડ જામે છે
ADVERTISEMENT
મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરની ખાસ વિશેષતા છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન નવ દિવસ મંદિરના સંચાલકો દ્વારા નવરાત્રી મહોત્સવ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને એમાં જે ભંડોળ એકત્રિત થાય છે તેનો ઉપયોગ આર્થિક રીતે પછાત ઘરની દીકરીઓના સમૂહ લગ્નના આયોજન માટે કરવામાં આવે છે. મંદિરની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને અનેક લોકો છૂટા હાથે દાન કરે છે. શ્રદ્ધાળુઓ જુદી જુદી માનતા અને બાધા રાખે છે અને માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા ફળ સ્વરૂપે પૂર્ણ થાય છે બાધા માનતા પૂર્ણ થયા બાદ લોકો માતાજીને તાવાનો પ્રસાદ ચડાવે છે.. તાવાનો પ્રસાદ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો મંદિરે આવે છે. પૂનમના દિવસે, રવિવારે અને મંગળવારે મેલડી માતાજીના મંદિરે ભક્તોની ભીડ જામે છે અને માતાજીના દર્શન પૂજન કરી પ્રસાદ લઈને ભાવિકો ધન્યતા અનુભવે છે.
મચ્છુ નદી હોનારતમાં શહેર થયું તબાહ
જ્યારે મોરબીમાં પૂર હોનારત સર્જાઈ ત્યારે આખું મોરબી તહેસ નહેસ થઈ ગયુ હતું. ઘણા લોકો અને અબોલ જીવ પાણીમાં તણાઈ ગયા હતા. લોકોના ઘર હતા ન હતા થઈ ગયા હતા. પણ મેલડી માતાજીના મંદિરે કોઈ પણ નુકસાની થઈ ન હતી. ધક્કાવાળી મેલડી મંદિર આગળ મચ્છુનો પ્રવાહ ગયો નહોતો અને નુકસાન પણ ન થયું તેથી લોકોમાં અનેરી આસ્થા અને શ્રદ્ધા છે. પહેલા મંદિર નાનું હતું આજે જે ભવ્ય મંદિર બન્યું છે તેના માટે કોઈપણ પ્રકારનો ફંડ ફાળો લેવામાં આવ્યો નથી. લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે મંદિરમાં જે દાનપુન્ય કરે છે તેનો ઉપયોગ કરી મંદિરે આવતા ભક્તો માટે સુવિધામાં ક્રમશઃ વધારો કરવામાં આવ્યો છે. મંદિરની દાનપેટીમાં જે આવક થાય છે તે રકમ મંદિર દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવતા જુદા જુદા કાર્યક્રમોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અને મંદિરે કોઈપણ પ્રકારના દોરા ધાગા કરવામાં આવતા નથી.
ભાવિકો તરફથી દાનનો અવિરત્ પ્રવાહ
વર્તમાન સમયમાં નબળા પરિવારને મદદરૂપ થવાની ભાવના સાથે મંદિરના સંચાલકો દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં કરવામાં આવતો કરિયાવર પણ મંદિરમાં એકત્રિત થયેલા ભંડોળમાંથી જ આપવામાં આવે છે. વર્ષોથી નિયમિત મંદિરે આવતા દર્શનાર્થીને મહાઆરતીમાં જોડાવાનો લ્હાવો મળે છે ત્યારે તે ધન્ય થઈ અત્યંત ખુશીની લાગણી અનુભવે છે. જરુરિયાતમંદ પરિવારના બાળકોને અભ્યાસ કરવા માટે પુસ્તકો તેમજ અબોલ જીવને ચણ અને ચારાની વ્યવસ્થા પણ મંદિરમાં થતા ભંડોળમાંથી જ કરવામાં આવતી હોય છે અને મંદિરના સેવાકીય કામમાં ભાવિક ભક્તો પૂરતો સહકાર આપી પોતાની આસ્થાનુ ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે. બહારના રાજ્યમાંથી મોરબીમાં સ્થાયી થયા હોય અને વર્ષોથી માં મેલડીમાં અતુટ શ્રદ્ધા રાખતા ભાવિકો નિયમિત માતાજીના ચરણે આવી ધન્ય થાય છે.
અનોખી લોકવાયકા
રજવાડાના સમયમાં બનાવવામાં આવેલા મોરબી રેલ્વે સ્ટેશનથી નવલખી બંદર તરફ કોલસો અને મીઠું ભરીને ટ્રેન આગળ મોકલાવતા હતા અને પાડા પુલ ઉપરથી ટ્રેન આગળ જઈ ન શકતા મોરબી રેલ્વે સ્ટેશનથી બીજું એન્જિન ટ્રેનના પાછળના ભાગે લગાવી ધક્કો મારવો પડતો હતો એટલે મેલડી માતાજીના મંદિરનું નામ ધક્કાવાળી મેલડી મંદિર પડયુ એવી લોકવાયકા છે. વર્તમાન સમયના ટેકનોલોજી યુગમાં આખું વિશ્વ આંગળીના ટેરવે મેળવી શકાય છે. પણ કેટલીક વસ્તુઓ શ્રદ્ધા અને આસ્થા થકી જ મળે છે. એટલે જ શ્રદ્ધા અને આસ્થા સાથે હજારોની સંખ્યામાં લોકો મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો: ગુજરાતની ચેતનવંતી જગ્યા! સંતને થયો આભાસ, માતાજીનો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલો
ભાવિકોની મનોકામના મેલડી માતાજી પૂરી કરે છે અને લોકો મંદિરે તાવાનો પ્રસાદ, દંડવત જેવી કોઈ માનતા રાખી હોય તે રીતે પોતાની માનતા પૂર્ણ કરીને ધન્યતા અનુભવે છે. દર પૂનમે અને રવિવારે મેલડી માતાજીના મંદિરે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ તાવા પ્રસાદનું અને મહા આરતીનું આયોજન કરે છે જેનો હજારો દર્શનાર્થીઓ લાભ લઈ ધન્ય થાય છે. માતાજી તેમના ભક્તોને સદા કુશળ મંગળ રાખે તેવી મનોકામના અને પ્રાર્થના કરવામાં આવે છે જે પ્રાર્થના માતાજી પુરી પણ કરે છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.