બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાની બેઠક પર ગેનીબેનની જીત ભાજપના બે મોટા નેતાઓ પર કરી શકે છે મોટી અસર
Mahadev Dave
Last Updated: 03:55 PM, 29 June 2024
લોકસભાની ગુજરાતની એક બેઠકે ગુજરાત ભાજપના રાજકારણને ડામાડોળ કરી નાખ્યું છે. આ બેઠક છે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠાની. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજયી બનતા ભાજપના ધારાસભ્ય અને સિનિયર નેતા શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરના સપના ચકનાચૂર થાય તેવી શક્યતા છે. આમ તો ગેનીબેન સામે રેખાબેન ચૌધરી ચૂંટણી લડ્યા અને હાર્યા. પરંતુ આ હારથી શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષા પર જે રીતે પાણીઢોળ થઈ ગયું છે એ જોતાં ગેનીબેન સામે આ બંને નેતાઓ ચૂંટણી હારી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.
ADVERTISEMENT
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે માત્ર એક જ બેઠક ગુમાવી છે, જે બનાસકાંઠાની છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 30,406 મતે વિજેતા બન્યા છે. ગેનીબેને ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા છે. જેનું રીએક્શન ભાજપના બે નેતા શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર પર આવી શકે છે. શંકર ચૌધરી હાલ વિધાનસભાના અધ્યક્ષ છે. અને થરાદથી ભાજપના ધારાસભ્ય છે. જ્યારે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ભાજપના ધારાસભ્ય છે. આ બંનેની કૂકરી ગેનીબેને કેવી રીતે ગાંડી કરી એ વિગતવાર સમજીએ તો હાલમાં વર્તમાન પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલની મુદત એક વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગઈ છે. તેવામાં હવે તેમને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવતા પ્રદેશ પ્રમુખ પદ છોડવું પડે તેમ છે. હાલમાં મુખ્યમંત્રી તરીકે પટેલ સમાજની વ્યક્તિ હોવાથી પ્રદેશ પ્રમુખ પદે અન્ય સમાજનો ચહેરો પાર્ટીની પહેલી પસંદગી રહેશે. તેમાંય ખાસ કરીને ઓબીસી સમાજની વ્યક્તિ પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.
ADVERTISEMENT
આ આવી સ્થિતિમાં મજબૂત ઓબીસી ચહેરા તરીકે એક માત્ર શંકર ચૌધરી છે. છેલ્લી બે ટર્મથી પ્રદેશ પ્રમુખ પદે ઓબીસી ચહેરા તરીકે શંકર ચૌધરીનું નામ ચર્ચાતું રહ્યું છે. આ વખતે પણ પ્રદેશ પ્રમુખ પદની રેસમાં તેમનું નામ હતું. જ્ઞાતિ સમીકરણ મુજબ શંકર ચૌધરી ઓબીસી ચહેરા તરીકે તમામ રીતે બંધ બેસે છે. પરંતુ તેમના વતનના જિલ્લા એવા બનાસકાંઠામાં જ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જિતાડી શક્યા ન હોવાથી હવે તેમને પ્રદેશ પ્રમુખ બનાવવા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. કારણ કે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને શંકર ચૌધરી એક જ ચૌધરી સમાજના હોવા છતાં તે રેખાબેનને જિતાડી શક્યા ન હોવાથી પાર્ટીમાં એવો મેસેજ ગયો છે કે ચૌધરી સમાજ પર પણ શંકર ચૌધરીની પકડ રહી નથી. વળી બનાસકાંઠામાં તમામ સહકારી સંસ્થાઓ પણ શંકર ચૌધરી પાસે છે. તેમ છતાં ખેડૂતો અને પશુપાલકોને મનાવવામાં અને તેમના મતો ભાજપને અપાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. જેથી શંકર ચૌધરી તમામ મોરચે પકડ ગુમાવી ચૂક્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આ કારણોસર હાલ તો તેમના પ્રદેશ પ્રમુખના સપના પર બ્રેક લાગી ગઈ છે.
આવી જ હાલત અલ્પેશ ઠાકોરની થઈ છે. ઠાકોર સમાજના આંદોલનમાંથી નેતા તરીકે જન્મનાર અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાઈ ગયા છે. તે કોંગ્રેસમાંથી રાધનપુર સીટ પરથી ચૂંટાયા હતાં. પણ ત્યાંથી તેમણે રાજીનામું આપતા અને પછીથી ભાજપમાં જોડાઈ જતાં તેમણે ફરી ભાજપમાંથી રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી. જેમાં તેની હાર થઈ હતી. બાદમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે તેમણે મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ જીતી ગયા હતા. અલ્પેશ ઠાકોરને મંત્રી બનવાની ભારે ઉતાવળ છે. અગાઉ તેઓ લીલી પેનથી સહી કરવાની વાત પણ કરી ચૂક્યા છે. હવે તેમને ગુજરાત સરકારના મંત્રી મંડળના વિસ્તરણમાં રસ છે. કારણ કે જો વિસ્તરણ થાય તો તેમને ક્વચિત મંત્રી પદ મળી શકે. પરંતુ ગેનીબેન ઠાકોરે લોકસભાની બનાસકાંઠા બેઠક જીતીને અલ્પેશ ઠાકોરના મંત્રી પદના સપનાંને હાલ તો સજ્જડ બ્રેક મારી દીધી છે.
અલ્પેશ ઠાકોર તેમને ઠાકોર સમાજના નેતા તરીકે ઓળખાવે છે ત્યારે બનાસકાંઠાના પરિણામે સાબિત કરી આપ્યું છે કે ગેનીબેન ઠાકોરનો વિજયરથ રોકવામાં અલ્પેશ ઠાકોર સદંતર નિષ્ફળ રહ્યા છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજના મતો નોંધપાત્ર છે. કોંગ્રેસ તરફથી ઠાકોર સમાજના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સમાજના મતોના સહારે જીત મેળવી શક્યા તે નિર્વિવાદ બાબત છે. આવા સમયે અલ્પેશ ઠાકોરની ફરજ હતી કે તે ઠાકોર સમાજના મતો કોંગ્રેસમાં જતાં અટકાવે અને તે મતો ભાજપમાં ડાઈવર્ટ કરે. જે તેઓ કરી ન શક્યા. પરિણામે ભાજપમાં તેની ગંભીર નોંધ લેવાઈ છે. ભાજપના આંતરિક વર્તુળોમાં થતી ચર્ચા મુજબ આ પરિણામથી એ સાબિત થઈ ગયું છે કે અલ્પેશ ઠાકોરનું ઠાકોર સમાજ પર પ્રભુત્વ ઓસરી ગયું છે. ત્યારે હવે તેને કયા આધાર પર મંત્રી પદ આપવું? આમ જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો પણ તેમાં અલ્પેશ ઠાકોરના સમાવેશની શક્યતાઓ ધૂંધળી બની ગઈ છે.
આ પણ વાંચો: રથયાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, આજે પોલીસ અધિકારીઓએ હેલિકોપ્ટરથી સર્વેલન્સનું કર્યું રિહર્સલ
આમ, લોકસભાના બનાસકાંઠાના પરિણામે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરને કમ્મરતોડ ઝટકો આપ્યો છે. જેની કળ વળતાં આ બંને નેતાઓને ખાસ્સો સમય લાગશે. પરંતુ હાલ તુરંત તો પાર્ટીમાં તે બંને નેતાઓના કદ ઘટી ગયા છે તેવું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT